તિરંગાની આન-બાન-શાન સાથે ભાવનગર બન્યું તિરંગામય : ભવ્ય તિરંગા યાત્રામાં છવાયો દેશભક્તિનો અદમ્ય જુસ્સો_ કૃષિ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી
અશ્વદળ, બાઇકર્સ, પોલીસ-શાળા બેન્ડ અને રાસ-ગરબાની પ્રસ્તુતિઓ બન્યાં આકર્ષણનું કેન્દ્ર
·Thursday, 13 August 2026 at 03:31 pm

રાષ્ટ્રધ્વજ તિરંગા પ્રત્યે ગૌરવ, સન્માન અને રાષ્ટ્રભક્તિની ભાવનાને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે સમગ્ર દેશમાં ઉજવાઈ રહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લામાં વિવિધ દેશભક્તિસભર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે આજે ભાવનગર શહેરમાં જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કૃષિ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી, મેયર શ્રીમતી ઉષાબેન તલરેજા, ધારાસભ્યશ્રી સેજલબેન પંડ્યા સહિતના મહાનુભાવોએ એ.વી. સ્કૂલ મેદાનથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું અને યાત્રામાં જોડાઈ દેશભક્તિના ઉત્સાહને વધુ વેગ આપ્યો હતો. જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, એન.સી.સી. કેડેટ્સ તેમજ મોટી સંખ્યામાં નગરજનો જોડાતા સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું હતું.
સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ યાત્રા એ.વી. સ્કૂલ મેદાનથી પ્રસ્થાન કરી ગરાસિયા બોર્ડિંગ, ભીડભંજન, ઘોઘા ગેટ, એમ.જી. રોડ, વોરા બજારનું નાકું, બાર્ટન લાઇબ્રેરી, હલુરિયા, શહીદ સ્મારક અને કાવેરી કોમ્પ્લેક્સ ચોક સહિતના માર્ગો પરથી પસાર થઈ પુનઃ એ.વી. સ્કૂલ મેદાન ખાતે પૂર્ણ થઈ હતી.
યાત્રાના રૂટ પર શાળાના વિદ્યાર્થીઓ અને યુવાનોએ પરંપરાગત સાંસ્કૃતિક વેશભૂષામાં દેશભક્તિસભર વિવિધ કૃતિઓ રજૂ કરી યાત્રિકોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
અશ્વદળ, બાઇકર્સ, પોલીસ બેન્ડ, શાળા બેન્ડ તેમજ રાસ-ગરબાની પ્રસ્તુતિઓએ યાત્રામાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. તિરંગા યાત્રા શહેરના માર્ગો ઉપરથી પસાર થઈ ત્યારે 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ્' ના નારાથી માર્ગો ગુંજી ઉઠ્યા હતા.
યાત્રાના પ્રારંભે ધ વેવ્સ એન્ટરટેઈન મેન્ટના ડૉ. નિરવ પંડ્યા અને જ્વલંત ભટ્ટના સંગીત સંચાલનમાં દેશભક્તિના ગીતો પ્રસ્તુત થયાં હતાં.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર અશોકભાઇ બારૈયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશનભાઈ મહેતા, આગેવાન કુમારભાઈ શાહ, રેન્જ આઇ.જી. શ્રી આર.બી.અસારી, કમિશનર ડૉ. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, નિવાસી અધિક કલેકટર એન.ડી.ગોવાણી, નાયબ કમિશનર જે.એન.મહેતા સહિત અધિકારીઓ-કર્મચારીઓ, એન.સી.સી. કેડેટ્સ, માજી સૈનિકો તેમજ શાળા- કોલેજના વિદ્યાર્થીઓ અને નગરજનો મોટી સંખ્યામાં સહભાગી થયાં હતા.
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
