પોરબંદર જિલ્લાના ઓડદર ખાતે વન વિભાગ દ્વારા વિકસાવવામાં આવી રહેલા સર્વોદય વન પ્રોજેક્ટની વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સ્થળ મુલાકાત લઈ ચાલી રહેલી કામગીરીની પ્રગતિ તેમજ ગુણવત્તાની સમીક્ષા કરી હતી. આ તકે વન અને પર્યાવરણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સ્થળ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ પ્રોજેક્ટના વિવિધ ભાગોમાં ચાલી રહેલી કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. પ્રોજેક્ટના આયોજન, વનીકરણ, વિવિધ થીમ આધારિત વન વિસ્તારોના વિકાસ તેમજ મુલાકાતીઓ માટે ઊભી કરવામાં આવનાર સુવિધાઓ અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. મંત્રીશ્રીએ પ્રોજેક્ટની કામગીરીમાં ગુણવત્તાના ધોરણો સાથે કોઈ બાંધછોડ ન થાય, ઉપયોગમાં લેવાતી સામગ્રી અને કરવામાં આવતી કામગીરીનું યોગ્ય નિરીક્ષણ થાય તેમજ મંજૂર આયોજન અને નિર્ધારિત માપદંડો અનુસાર કામગીરી આગળ વધે તે અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. સાથે જ કામગીરીનું નિયમિત મોનિટરિંગ કરી ખામીઓ જણાય તો જરૂરી સુધારાત્મક પગલાં તાત્કાલિક લેવામાં આવે તે માટે પણ માર્ગદર્શન આપ્યું હતું. મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરી ગુણવત્તા જાળવીને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને નવી આકર્ષક ડિઝાઈન માટે વિવિધ જગ્યાઓએ જરૂરી ફેરફારો કરવા અને મટીરિયલ, પ્લાન્ટનેશન, રોડ બનાવવાના આયોજન સહિતની બાબતે અધિકારીઓને માર્ગદર્શન જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વન અને પર્યાવરણ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે, સર્વોદય વન જેવા પ્રોજેક્ટમાં માત્ર વિકાસની ગતિ જ નહીં પરંતુ કામની ગુણવત્તા, પર્યાવરણીય ધોરણો સાથેજ સર્વોદય વનની મુલાકાતે આવતા બાળકો અને પ્રવાસીઓ અહીં આવીને કંઈક શીખીને જાય તે પ્રકારનું ખાસ આયોજન કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું ઓડદર ખાતે વિકસાવવામાં આવી રહેલા સર્વોદય વનમાં મહાત્મા વન, માતૃવન, સત્ય અહિંસા વન, શાંતિ વન, બરડા વન કુંજ, ઔષધિ વન અને મિશન લાઈફ ગાર્ડન જેવા વિવિધ થીમ આધારિત વિસ્તારો વિકસાવવામાં આવશે. આ ઉપરાંત સિટી ગાર્ડન, ગ્રામ સ્ટોલ, કૃષ્ણ સુદામા વાટિકા, પ્રાકૃતિક રમત-ગમત વિસ્તાર, સી વ્યુ ગાર્ડન, રોક ગાર્ડન, ગ્રામ સ્વરાજ, કફેટેરિયા, પીવાના પાણીની સુવિધા, ટોયલેટ એરિયા, પાર્કિંગ એરિયા તથા સી 57 વન કેડી સહિતની સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં સર્વોદય વનના મુખ્ય દ્વાર, સ્વાગતમ પરિસર અને ઇન્ફોર્મેશન એરિયા સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે. વિવિધ થીમ આધારિત વન વિસ્તારો અને હરિયાળી વિકસાવવાના હેતુથી હાથ ધરવામાં આવેલી કામગીરીથી નાગરિકોને પ્રકૃતિ સાથે જોડાવા માટેનું સુવિધાયુક્ત સ્થળ ઉપલબ્ધ થશે તેમજ સ્થાનિક પર્યાવરણ અને જૈવવિવિધતાને પ્રોત્સાહન મળશે. આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી એસ.ડી. ધાનાણી, મુખ્ય વન સંરક્ષક શ્રી રામરતન નાલા, સામાજિક વનીકરણ વર્તુળ રાજકોટ સીએફ શ્રી આર.સેન્થીલ કુમાર,નાયબ વન સંરક્ષક શ્રી ચિરાગ ચાંદગુડે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી વિક્રમભાઈ ઓડેદરા, પ્રાંત અધિકારી શ્રી સંદીપ જાદવ, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, સ્થાનિક અગ્રણી શ્રી ભીમભાઇ ઓડેદરા તેમજ વન વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.