આજ રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2 હેઠળ ચાલી રહેલી વિવિધ વિકાસ કામગીરીની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સંબંધિત અધિકારીઓ સાથે ચાલી રહેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. વિકાસકાર્યોનું આયોજન મુજબ અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તેમજ દરેક કામગીરીમાં ગુણવત્તાના ઉચ્ચ ધોરણો જળવાઈ રહે તે અંગે ખાસ ભાર મૂક્યો હતો. અમદાવાદ શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોને વધુ ગુણવત્તાસભર શહેરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2ની વિવિધ વિકાસ કામગીરી ઝડપી ગતિએ આગળ વધી રહી છે, જે પૂર્ણ થયા બાદ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સુવિધાઓમાં વધુ વધારો થશે.