સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર, ઇડર અને ખેડબ્રહ્મામાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા
ગુજરાત સહિત દેશભરમાં રથયાત્રા મહોત્સવની ઉજવણી
R
Rahul Bhatt
ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામ રથમાં બેસી નગરચર્યાએ નિકળ્યા
પૂજા-અર્ચના અને આરતી બાદ પહિન્દ વિધી સંપન્ન
ડીજે, બગી, બેન્ડવાજા સહિત મોટી સંખ્યામાં ભકતો રથયાત્રામાં જોડાયા
ઠેરઠેર ભકતો દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું
સાબરકાંઠા જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથની વાજતે ગાજતે ભવ્ય રથયાત્રા હિંમતનગર, ઇડર અને ખેડબ્રહ્મા શહેરમાં નિકળી હતી. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ ભગવાન રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નિકળતા ભકતો દ્વારા ઠેરઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ડીજે, બગી, બેન્ડવાજા સહિત મોટી સંખ્યામાં ભકતો રથયાત્રામાં જોડાયા હતા.
આ અંગેની વિગત એવી છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ હિંમતનગર શહેરમાં જગન્નાથધામ ખાતેથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો. ભગવાનની પૂજા-આરતી બાદ પહિન્દ વિધી સંપન્ન થયા બાદ ભગવાન જગન્નાથની રથયાત્રા શહેરના મહાવીરનગર, મહાકાલી મંદિર, પંચદેવ મંદિર સહિતના વિસ્તારોમાં નિકળી હતી. માનવ સાંકળ બનાવી ભકતોએ ભગવાન જગન્નાથના રથને ખેંચી ધન્યતા અનુવભી હતી. ભગવાનની રથયાત્રામાં ડીજે સાથે બગી, ઊંટલારી અને ટ્રેક્ટર સહિત વિવિધ સંગઠનો, ભજન મંડળીઓ જોડાઇ હતી.
ઇડરમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે ૨૮મી ભવ્ય રથયાત્રામાં હજારો હરીભકતો જોડાયા હતા. મોટા રામદ્વારા મંદિરથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ગુરુવારે સવારે 10:45 કલાકે વૈદિક મંત્રોચ્ચાર અને જય જગન્નાથના ગગનભેદી નાદ વચ્ચે પ્રસ્થાન કરી હતી. શહેરના મુખ્ય માર્ગો પર હજારો હરિભક્તો ઉમટી પડ્યા હતા અને સમગ્ર ઈડર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું. ઇડર નગર ઉત્સવ સમિતિના પ્રમુખ પ્રદીપભાઈ ખરાદી, મંત્રી કૃણાલ સગર, ભવરલાલ સોની મોટા રામદ્વારા મંદિરના મહંત રામકૃપાલજી મહારાજ, મહાકાલેશ્વર મંદિરના મહાકાલગીરી મહારાજ તેમજ વડિયાવીર બિલેશ્વર મહાદેવ મંદિરના શાંતિગીરી મહારાજ સહિતના આગેવાનો અને સંત-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. ઇડરના વિવિધ વિસ્તારોમાંથી નિકળેલી રથયાત્રા જલારામ મંદિર ખાતે આવી પહોંચતા મહાઆરતીનું આયોજન કરાયું હતુ. ઇડર નગર ઉત્સવ સમિતિના સભ્યો ભારે જહેમત ઉઠાવી હતી સમગ્ર શહેરમાં ભક્તિ, ઉત્સાહ અને સામાજિક એકતાનું અનોખું દૃશ્ય જોવા મળ્યા હતા.
ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા શહેરમાં ભગવાન જગન્નાથની 33મી રથયાત્રા વાજતે ગાજતે રાધા કિશન મંદિરથી નિકળી હતી. ખેડબ્રહ્મા નગરની પરિક્રમાં બાદ શેઠ કે ટી હાઇસ્કૂલ ખાતે વેપારી મિત્ર મંડળ તેમજ ભકતો દ્વારા મામેરૂ ભરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં ભકતોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
