ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને પગલે વલસાડ જિલ્લાના તમામ કારખાનાઓ અને ઔદ્યોગિક એકમો આજે બંધ રાખવાનો નિર્ણય*
તાપી જિલ્લાના ડોલવણના ધોડિયાવાડ ખાતે બચાવ કામગીરી
·Thursday, 23 July 2026 at 04:55 am

શ્રમયોગીઓની સુરક્ષા અને જાહેર હિતને પ્રાધાન્ય; માત્ર આવશ્યક સેવાઓ માટે જ ન્યૂનતમ સ્ટાફ રાખવા સૂચના
વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રમયોગીઓની સુરક્ષા અને જાહેર હિતને પ્રાધાન્ય આપતા જિલ્લાના તમામ કારખાનાઓ અને ઔદ્યોગિક એકમોને તા. ૨૩ જુલાઈના રોજ સમગ્ર દિવસ માટે કામગીરી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કારખાનાના સંચાલકો અને કબજેદારોને તમામ શ્રમયોગીઓને સુરક્ષિત રીતે તેમના ઘરે મોકલવાની વ્યવસ્થા કરવા જણાવાયું છે. ઉપરાંત માત્ર આવશ્યક અને તાકીદની સેવાઓ માટે જરૂરી ન્યૂનતમ સ્ટાફને જ તમામ સલામતીના પગલાં સાથે ફરજ પર રાખવાની સૂચના આપવામાં આવી છે.
આ સાથે જોખમી રસાયણો, મશીનરી, વિદ્યુત વ્યવસ્થા તેમજ અન્ય મહત્વપૂર્ણ સાધનોને સલામત સ્થિતિમાં રાખવા જરૂરી તકેદારી રાખવા જણાવાયું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી તમામ સૂચનાઓનું કડક પાલન કરવા પણ અપીલ કરવામાં આવી છે.
જિલ્લા વહીવટી તંત્રે જણાવ્યું છે કે, આ નિર્ણય શ્રમયોગીઓની સુરક્ષા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યો છે.
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
