મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અતિવૃષ્ટિગ્રસ્ત બોપલ વિસ્તારની મુલાકાત લીધી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે અતિવૃષ્ટિગ્રસ્ત બોપલ વિસ્તારની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાતમાં કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ તથા અમદાવાદ શહેરના મેયર શ્રી હિતેશભાઈ બારોટ પણ જોડાયા હતા. ભારે વરસાદને કારણે બોપલ વિસ્તારમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીશ્રીએ પોતે પાણીમાં ઊતરીને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, અમદાવાદના મેયર શ્રી હિતેશ બારોટ તેમજ મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી એમ. થેન્નારસન, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની તેમજ પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગહલોત સહિતના વરિષ્ઠ અધિકારઓ સાથે સ્થળ પર જ મુલાકાત કરીને વરસાદી પાણીના નિકાલ, રાહત તથા બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાહત અને બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા તેમજ જરૂરી માનવબળ, સાધનો અને વ્યવસ્થાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને સ્થળ પર જ સૂચનાઓ આપી હતી.