ઓમનગર અને ચમનપુરા વચ્ચે નિર્માણાધીન લિમિટેડ હાઇટ સબવેનું ડીઆરએમ વેદ પ્રકાશ અને ધારાસભ્ય કંચનબેન રાદડિયાએ સંયુક્ત નિરીક્ષણ કર્યું
30 સપ્ટેમ્બર, 2026 સુધીમાં કામ પૂર્ણ કરવાનો લક્ષ્ય
·Wednesday, 29 July 2026 at 11:17 am

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ તથા ઠક્કરબાપા નગર વિધાનસભા ક્ષેત્રની માનનીયા ધારાસભ્ય શ્રીમતી કંચનબેન વિનુભાઈ રાદડિયાએ આજે અસારવા–હિંમતનગર રેલખંડ પર આવેલા ઓમનગર અને ચમનપુરા વચ્ચેના લેવલ ક્રોસિંગ નં. 3 પર નિર્માણાધીન લિમિટેડ હાઇટ સબવે (LHS)નું તા. 29.07.2026ના રોજ સવારે 6:00 વાગ્યે સંયુક્ત નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ દરમિયાન તેમણે ચાલી રહેલા બાંધકામની પ્રગતિની સમીક્ષા કરી તથા સંબંધિત અધિકારીઓને નિર્ધારિત સમયમર્યાદામાં ઉચ્ચ ગુણવત્તા સાથે કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અમદાવાદની મુલાકાત દરમિયાન કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આ અંડરબ્રિજનું નિર્માણ કાર્ય આગામી નવરાત્રી મહોત્સવ પહેલાં પૂર્ણ કરવા સૂચના આપી હતી. તે અનુસંધાને પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા માટે આ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું.
આશરે ₹19 કરોડના ખર્ચે નિર્માણાધીન આ લિમિટેડ હાઇટ સબવેની લંબાઈ 265 મીટર અને પહોળાઈ 8.5 મીટર હશે. આ પ્રોજેક્ટનું નિર્માણ બોક્સ પુશિંગ પદ્ધતિ (Box Pushing Method) દ્વારા કરવામાં આવી રહ્યું છે. રેલવે ટ્રેકની નીચે બોક્સ પુશિંગનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે હાલમાં એપ્રોચ રોડનું કામ ચાલુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ગટર લાઇન (Sewerage Drain)નું કાર્ય તથા ટોરેન્ટ પાવર દ્વારા વીજ કેબલના સ્થાનાંતરણ (Electric Cable Shifting)ની કામગીરી પ્રગતિમાં છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ બાકીના નિર્માણ કાર્ય ને વધુ ઝડપથી આગળ વધારવામાં આવશે.
નિરીક્ષણ દરમિયાન અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રોજેક્ટને 30 સપ્ટેમ્બર, 2026 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. હાલમાં આસપાસની રહેણાંક સોસાયટીઓના રહેવાસીઓને અવરજવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મંડળ રેલ પ્રબંધકે સંબંધિત અધિકારીઓને ડ્રેનેજ તથા સાઇડ રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપી, જેથી સ્થાનિક નાગરિકોની અવરજવર સરળ બની શકે. સાથે જ તેમણે એ પણ સુનિશ્ચિત કરવા જણાવ્યું કે આ કામગીરી દરમિયાન લિમિટેડ હાઇટ સબવેનું નિર્માણ કાર્ય કોઈપણ વિક્ષેપ વિના સતત ચાલુ રહે.
આ લિમિટેડ હાઇટ સબવેના નિર્માણથી લેવલ ક્રોસિંગ પર વાહનવ્યવહાર વધુ સુરક્ષિત, સરળ અને અવરોધરહિત બનશે. સાથે જ માર્ગ વપરાશકર્તાઓને સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત થશે અને વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે.
આ નિરીક્ષણ દરમિયાન રેલવે તેમજ સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા.
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
