અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ચોમાસાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તા. 23/07/2026 થી 02/08/2026 દરમિયાન જિલ્લા આરોગ્ય શાખા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય સર્વેલન્સ, રોગચાળો અટકાવવા તથા જનજાગૃતિ માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન જિલ્લાના 469 ગામોમાંથી 10 અસરગ્રસ્ત ગામોના 541 અસરગ્રસ્ત પરિવારો સુધી આરોગ્ય ટીમો પહોંચી હતી. કુલ 277 આરોગ્ય ટીમો દ્વારા 13,41,742 નાગરિકોનું સર્વેલન્સ કરવામાં આવ્યું. સર્વેલન્સ દરમિયાન 208 ઝાડા, 21 ઊલટી, 4368 શરદી-ખાંસી તથા 599 તાવના કેસો મળી આવ્યા હતા. તમામ દર્દીઓને સ્થળ પર જરૂરી સારવાર, દવાઓ તથા અનુસરણની કામગીરી કરવામાં આવી હતી અને તાત્કાલિક નિયંત્રણના પગલાં લેવામાં આવ્યા હતા. સુરક્ષિત પીવાના પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે કુલ 17,451 આર.સી.સી. ટેસ્ટ, 17,418 ક્લોરીન રેસિડ્યુઅલ ટેસ્ટ પોઝિટિવ આવેલ હતા. ઉપરાંત લોકોને સુરક્ષિત પાણી પીવા માટે 91,800 ક્લોરિન ટેબ્લેટ્સ અને 5,853 ઓ.આર.એસ. પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા 151 મેડિકલ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 8,796 નાગરિકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. 75 જેટલી સફે સુવાવડ પણ કરાવવા માં આવી. આશા, એ.એન.એમ., મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તથા અન્ય આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગામોમાં સ્વચ્છતા, મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોથી બચાવ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય શાખા દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરીયાત મુજબ આરોગ્ય સેવાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. લોકોને પીવાનું પાણી ઉકાળી અથવા ક્લોરિનયુક્ત પાણીનો ઉપયોગ કરવા, આસપાસ સ્વચ્છતા જાળવવા તથા તાવ, ઝાડા, ઊલટી જેવા લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરવામાં આવે છે.