અમદાવાદના બોડકદેવ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં આવેલા બેન્ક્વેટ/કોન્ફરન્સ હોલ હવે પ્રાર્થના સભા અને બેસણા માટે પણ ઉપલબ્ધ રહેશે
અત્યાર સુધી આ હોલનો ઉપયોગ મુખ્યત્વે વિવિધ સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમો માટે કરવામાં આવતો હતો,પરંતુ હવે નાગરિકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી આ નવી સુવિધા શરૂ પણ કરવામાં આવી
·Wednesday, 5 August 2026 at 09:21 am

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને શહેરના મેયરશ્રી હિતેશભાઈ બારોટ, મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાની, ડે.મેયર શ્રીમતી અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી કમલેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતાશ્રી જશુભાઈ ઠાકોર, દંડકશ્રી અતુલ મિશ્રાના માર્ગદર્શન હેઠળ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર-પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં આવેલ પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં આવેલા બેન્ક્વેટ/કોન્ફરન્સ હોલ-1 અને બેન્ક્વેટ/કોન્ફરન્સ હોલ-2 હવે પ્રાર્થના સભા તથા બેસણાંના આયોજન માટે પણ ભાડે ઉપલબ્ધ કરાવવામાં આવશે. અત્યાર સુધી આ હોલનો ઉપયોગ મુખ્યત્વે વિવિધ સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમો માટે કરવામાં આવતો હતો, પરંતુ હવે નાગરિકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી આ નવી સુવિધા શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ,બોડકદેવ અને આસપાસના વિસ્તારોના નાગરિકોને પ્રાર્થના સભા માટે યોગ્ય સ્થળ મળી રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના અનુસંધાને જાહેર જનતાને નિયત શરતો અને નિયમો હેઠળ બંને બેન્ક્વેટ/કોન્ફરન્સ હોલ પ્રાર્થના સભા અને બેસણાં માટે ફાળવવાની મંજૂરી આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બેન્ક્વેટ/કોન્ફરન્સ હોલ-1નું ક્ષેત્રફળ 981 ચોરસ મીટર છે અને તેમાં અંદાજે 382 વ્યક્તિઓ બેસી શકે છે. આ હોલ માટે પ્રથમ શિફ્ટ (સવારે 8:00 થી બપોરે 2:00 વાગ્યા)નું ભાડું સોમવારથી રવિવાર રૂ.20,000 તથા ડિપોઝિટ રૂ.50,000 નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે બીજી શિફ્ટ (બપોરે 3:00 થી રાત્રે 10:00 વાગ્યા) માટે ભાડું રૂ. 25,000 અને ડિપોઝિટ રૂ.50,000 રહેશે.
તે જ રીતે,બેન્ક્વેટ/કોન્ફરન્સ હોલ-2નું ક્ષેત્રફળ 354 ચોરસ મીટર છે અને તેની બેઠક ક્ષમતા 190 વ્યક્તિઓની છે. આ હોલ માટે પ્રથમ શિફ્ટનું ભાડું રૂ. 10,000 અને બીજી શિફ્ટનું ભાડું રૂ. 12,500 નક્કી કરવામાં આવ્યું છે. બંને શિફ્ટ માટે રૂ. 25,000 ડિપોઝિટ રાખવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું છે કે, હોલના બુકિંગ તથા વધુ માહિતી માટે નાગરિકો નજીક્ના AMC સિટી સિવિક સેન્ટરનો સંપર્ક કરી શકશે અથવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ મારફતે પણ ઓનલાઈન બુકિંગની સુવિધાનો લાભ લઈ શકશે. આ નિર્ણયથી બોડકદેવ અને આસપાસના વિસ્તારોના નાગરિકોને પ્રાર્થના સભા અને બેસણાં માટે યોગ્ય, સુવ્યવસ્થિત અને આધુનિક સ્થળ ઉપલબ્ધ બનશે.
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
