ગુજરાત સરકારે એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન તથા વેચાણ પર પ્રતિબંધ મૂક્યો
પ્રતિબંધનો ભંગ કરનાર વ્યક્તિ અથવા ફૂડ બિઝનેસ ઓપરેટર સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 મુજબ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
·Wednesday, 5 August 2026 at 06:24 pm

રાજ્યમાં ગ્રાહકોના આરોગ્યની સુરક્ષા, ખાદ્ય ગુણવત્તા જાળવવા અને ડેરી ઉદ્યોગના હિતોના રક્ષણ માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં ધોરણવિહોણા એનાલોગ પનીર (Analogue Paneer), ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સરકારના જણાવ્યા મુજબ ગુજરાત દેશનું અગ્રણી ડેરી રાજ્ય છે અને લાખો દૂધ ઉત્પાદક ખેડૂતોની મહેનતથી લોકો સુધી ગુણવત્તાયુક્ત દૂધ અને દૂધજન્ય ઉત્પાદનો પહોંચે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બજારમાં એવા ઉત્પાદનો જોવા મળ્યા છે, જે દેખાવમાં પનીર જેવા હોવા છતાં દૂધના બદલે વનસ્પતિ તેલ અને અન્ય બિન-ડેરી ઘટકોમાંથી બનાવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. આવા ઉત્પાદનોને પનીર તરીકે વેચાતા ગ્રાહકો ગેરમાર્ગે દોરાય છે તેમજ અસલી ડેરી ઉત્પાદકોને પણ નુકસાન થાય છે.
રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવેલા સેમ્પલિંગ અને લેબોરેટરી પરીક્ષણ દરમિયાન આવા બિન-ધોરણીકૃત ઉત્પાદનોના કિસ્સાઓ સામે આવ્યા હતા. આને ધ્યાનમાં રાખીને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને સમગ્ર રાજ્યમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ગ્રાહકોને ભ્રમિત કરતી પ્રવૃત્તિઓ અટકાવવાનો અને જાહેર આરોગ્યનું રક્ષણ કરવાનો છે. પ્રતિબંધનો ભંગ કરનાર વ્યક્તિ અથવા ફૂડ બિઝનેસ ઓપરેટર સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 મુજબ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
સરકારે તમામ ઉત્પાદકો, વેપારીઓ, હોટેલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ અને અન્ય ફૂડ બિઝનેસ ઓપરેટરોને માત્ર ધોરણ મુજબનું અસલી પનીર જ વેચવા અને તેનો ઉપયોગ કરવા તેમજ કાયદાનું પાલન કરવાની અપીલ કરી છે.
સરકારે જણાવ્યું છે કે રાજ્યના દરેક નાગરિકને સુરક્ષિત, ગુણવત્તાયુક્ત અને અસલી ખોરાક ઉપલબ્ધ કરાવવો, ગ્રાહકોનો વિશ્વાસ જાળવવો અને ડેરી ઉદ્યોગનું રક્ષણ કરવું તેની સર્વોચ્ચ પ્રાથમિકતા છે
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
