ગૂજરાત વિદ્યાપીઠના હીરક મહોત્સવ સભાખંડમાં ગૂજરાત વિદ્યાપીઠના કલામંદિર તથા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી આદરણીય કુલપતિશ્રી ડૉ. હર્ષદ પટેલની અધ્યક્ષતામાં અને મુખ્ય અતિથિ તરીકે ડો. શ્વેતકેતુ વોરાની ઉપસ્થિતિમાં ‘સૂર તાલ ચક્ર’ સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાથી પધારેલા જાણીતા સંગીતકાર ડો. કેદાર મુકાદમના નિર્દેશન હેઠળ તૈયાર કરવામાં આવેલી આ સંગીત પ્રસ્તુતિમાં ભારતીય શાસ્ત્રીય સંગીતના રાગો અને તેમાંથી વિકસેલા વિવિધ પ્રકારના સંગીત સ્વરૂપોની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત રાગ યમનની પારંપરિક શાસ્ત્રીય પ્રસ્તુતિથી કરવામાં આવી. ડો. જનક જાસકિયાએ રાગ યમનની શાસ્ત્રીય રજૂઆત કરી હતી. ત્યારબાદ આ રાગના આધારે શ્રી સ્વરીત કેલકર અને સુશ્રી રુચાં બારોટે વિવિધ ફિલ્મી ગીતો, ભજનો અને ગઝલોની રજૂઆત કરી હતી. શાસ્ત્રીય રાગમાંથી વિવિધ સંગીત સ્વરૂપો કેવી રીતે વિકસે છે તેની રસપ્રદ અનુભૂતિ પ્રેક્ષકોને આ પ્રસ્તુતિ દ્વારા થઈ હતી. કાર્યક્રમ દરમિયાન કલાકારોના સમૂહ દ્વારા અગાઉ સમગ્ર ગુજરાતમાં ખૂબ પ્રશંસા પામેલી તેમની પ્રસ્તુતિનો એક અંશ પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેને પ્રેક્ષકોએ હર્ષભેર વધાવી લીધો હતો. સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાના ભાગરૂપે દેશભક્તિથી સભર ગીતોની વિશેષ રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ રાગ પહાડી અને તેના આધારે રચાયેલા વિવિધ પ્રકારના ગીતો પણ રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતિમ તબક્કામાં રાગ ભૈરવીની રજૂઆત કરવામાં આવી હતી. રાગ ભૈરવીના તરાના તેમજ તેના આધારે રચાયેલા વિવિધ ગીતોની રજૂઆત સાથે સંગીતમય સાંજનું સમાપન થયું હતું. વડોદરાથી પધારેલા સંગીતકારોના આ સમૂહમાં આશરે 10 જેટલા કલાકારો જોડાયા હતા. ગાયકી સાથે ઢોલ, ઢોલક, તબલા, ગિટાર, હાર્મોનિયમ, સિન્થેસાઇઝર, ઓક્ટોપેડ અને ડ્રમ સહિત વિવિધ વાદ્યોની સંગત કરવામાં આવી હતી. આ ઉપરાંત નગરના સંગીતરસિકો, કલામંદિરના વિદ્યાર્થીઓ તેમજ ગૂજારાત વિદ્યાપીઠના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આશરે 300થી વધુ જેટલા પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે અંત સુધી ઉત્સાહપૂર્વક કાર્યક્રમ માણ્યો હતો.