કલોલ સ્વામિનારાયણ ગુરૂકુળ આગળ પાણી ભરાવાની સમસ્યાનું ઔડા દ્વારા કાયમી નિરાકરણ
·Tuesday, 18 August 2026 at 08:32 am

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ હસ્તકના કલોલ ગ્રોથ સેન્ટરમાં અમદાવાદ-મહેસાણા હાઇવે પર આવેલ સ્વામિનારાયણ ગુરૂકુળ આગળ નીચાણવાળો વિસ્તાર હોવાને કારણે દર વર્ષે ચોમાસાની ઋતુમાં ભારે પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ રહેતું હતું. જેના કારણે મુખ્ય હાઇવે પરથી પસાર થતાં વાહનવ્યવહારને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.
આ ગંભીર સમસ્યાના કાયમી નિરાકરણ અર્થે ઔડા દ્વારા એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરીને પૂર્ણ કરવામાં આવ્યો છે. ઔડા દ્વારા કલોલ સ્વામિનારાયણ ગુરૂકુળ આગળથી પલસાણા રોડ થઈને સઇજ-હાજીપુર કાંસ સુધી વરસાદી પાણીના નિકાલ માટે ૯૦૦ મી.મી. વ્યાસ ધરાવતી ૨૪૨૦ મીટર લંબાઈની પાઈપલાઈન નાખવાની કામગીરી રૂ. ૩૧૦.૨૭ લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવી છે.
ચાલુ ચોમાસા દરમિયાન અમદાવાદ-મહેસાણા હાઇવે ઉપર સ્વામિનારાયણ ગુરૂકુળની ઉપરની બાજુએ આવેલ એસ.ટી. વર્કશોપથી લઈને ગુરૂકુળ આગળ જે પાણી અગાઉના વર્ષોમાં ભરાઈ રહેતું હતું, તેનો નિકાલ ઔડા દ્વારા નાખવામાં આવેલી ૯૦૦ મી.મી. વ્યાસની આ પાઇપલાઇન મારફતે સઇજ, હાજીપુર કાંસમાં સફળતાપૂર્વક થઈ રહ્યો છે.
આ સફળ આયોજનના પરિણામે વર્તમાન ચોમાસાની ઋતુમાં સ્વામિનારાયણ ગુરૂકુળ આગળ વરસાદી પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું છે, જેથી વાહનચાલકો અને સ્થાનિક રહીશોને મોટી રાહત મળી છે.
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
