ત્રિમાસિક પાસમાં ૫૪ દિવસને બદલે માત્ર ૪૫ દિવસનું ભાડું ચૂકવી ૯૦ દિવસ મુસાફરીનો લાભ મળશે
માસિક પાસમાં ૧૮ દિવસને બદલે માત્ર ૧૫ દિવસના ભાડામાં ૩૦ દિવસ મુસાફરી કરી શકાશે રાજ્યના ૨.૫ લાખથી વધુ નોકરિયાતો અને ધંધાર્થી વર્ગને મળશે સીધો આર્થિક ફાયદો
·Wednesday, 19 August 2026 at 06:19 am

રાજ્યમાં એસ.ટી. બસમાં રોજિંદા અપડાઉન કરતા લાખો નોકરિયાતો, વેપારીઓ અને ધંધાર્થી વર્ગના આર્થિક હિતને ધ્યાને રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ‘દૈનિક મુસાફર પાસ યોજના’ના નિયમોમાં લોકહિતલક્ષી સુધારો કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં દૈનિક મુસાફર પાસ યોજનામાં ભાડા રાહત વધારી ૫૦ ટકા સુધી કરવામાં આવી છે.
મુસાફરોના હિતમાં નિગમે પાસ યોજનાના માળખામાં ફેરફાર કર્યો છે, જેનાથી મુસાફરોને ભાડામાં ૫૦ ટકા સુધીની સીધી આર્થિક રાહત પ્રાપ્ત થશે.
અગાઉ માસિક પાસ માટે મુસાફરે ૧૮ દિવસનું ભાડું ચૂકવવું પડતું હતું, જેને ઘટાડીને હવે માત્ર ૧૫ દિવસનું ભાડું કરવામાં આવ્યું છે. એટલે કે માત્ર ૧૫ દિવસના ભાડામાં પૂરા ૩૦ દિવસ મુસાફરી કરી શકાશે.
ત્રિમાસિક પાસ ધારકો માટે અગાઉ ૫૪ દિવસનું ભાડું લેવાતું હતું, જેના સ્થાને હવે માત્ર ૪૫ દિવસનું ભાડું ચૂકવીને સતત ૯૦ દિવસ સુધી મુસાફરીનો લાભ મેળવી શકાશે.
નિગમ દ્વારા લેવાયેલા આ પ્રજાલક્ષી નિર્ણયથી દૈનિક ધોરણે મુસાફરી કરતા આશરે ૨.૫ લાખથી વધુ નોકરિયાતો અને નાના-મોટા વ્યવસાયી વર્ગને દર મહિને મોટો આર્થિક ફાયદો થશે. સાથે જ મુસાફરો નિગમની સલામત, સુવિધાજનક અને ગુણવત્તાસભર જાહેર પરિવહન સેવાનો મહત્તમ ઉપયોગ કરવા પ્રેરાશે.
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
