પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા ભારત સરકારના "નશા મુક્ત ભારત અભિયાન" અંતર્ગત 10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાનનો પ્રારંભ આજે રવિવાર, તા. 2 ઓગસ્ટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના વરચ્યુઅલ સંબોધન દ્વારા કરવામાં આવ્યો. આ સાથે ગુજરાત સ્તરીય નશામુક્તિ મહાઅભિયાનનો પ્રારંભ બ્રહ્માકુમારીઝના તાલોદ તાલુકા સ્થિત ઇન્દ્રપ્રસ્થ ગુજરાત ગ્લોબલ રિટ્રીટ સેન્ટર ખાતે કરવામાં આવ્યો. આ મહાઅભિયાન તા. 6થી 20 ઓગસ્ટ, 2026 દરમિયાન સમગ્ર દેશમાં આયોજિત કરવામાં આવશે. આ અંગે માહિતી આપતાં અમદાવાદ મણિનગર સબઝોનનાં મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી ડૉ. નેહા બહેને જણાવ્યું કે આ અભિયાન બ્રહ્માકુમારીઝના પૂર્વ મુખ્ય પ્રશાસિકા પરમ આદરણીય રાજયોગિની દાદી પ્રકાશમણિજીની 19મી પુણ્યસ્મૃતિને સમર્પિત છે. અભિયાનનો મુખ્ય હેતુ દેશના 10 કરોડથી વધુ નાગરિકો તથા યુવાનોને નશામુક્તિનો સંકલ્પ કરાવી જનજાગૃતિ ફેલાવવાનો, રાજયોગ ધ્યાન દ્વારા સકારાત્મક જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો તથા નશામુક્ત, સ્વસ્થ અને વિકસિત ભારતના નિર્માણમાં જનભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો છે. આ પ્રસંગે ભારત સરકારના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના સહાયક નિયામક બહેન ચંદાજી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તાલોદના ધારાસભ્ય શ્રી ગજેન્દ્ર પરમાર, ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના નોડલ અધિકારી શ્રી અજય ચૌહાણ, બ્રહ્માકુમારીઝ મણિનગર સબઝોનની નિર્દેશિકા બી.કે. ડૉ. નેહા બહેન, મેડિકલ પ્રભાગ ગુજરાતના સંયોજક ડૉ. મુકેશ પટેલ તથા ઇન્દ્રપ્રસ્થ ગુજરાત ગ્લોબલ રિટ્રીટ સેન્ટરના નિયામક શ્રી વિનય શુક્લ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સરકારી અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, શિક્ષણવિદો, તબીબો, સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, યુવા સંગઠનો, શાળા અને મહાવિદ્યાલયોના વિદ્યાર્થીઓ, યુવાનો, એન.સી.સી. તથા એન.એસ.એસ.ના કેડેટ્સ તેમજ બ્રહ્માકુમારી પરિવારના રાજયોગી ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નશામુક્ત ભારતના આ અભિયાનની સફળતા માટે ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ પોતાના શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તમામ ઉપસ્થિતોને નશામુક્ત જીવન માટેની પાંચ સૂત્રીય પ્રતિજ્ઞા બી.કે. નંદા બહેન દ્વારા લેવડાવવામાં આવી. આ અભિયાન તારીખ 6 થી 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓ અને ગામોમાં જનજાગૃતિ ફેલાવવાના હેતુથી ચલાવવામાં આવશે. તેના અંતર્ગત નાગરિકોને નશાથી દૂર રહેવા, પોતાના પરિવારને નશામુક્ત બનાવવા તથા મિત્રો અને સમાજને પણ નશામુક્તિ માટે પ્રેરિત કરવા માટે સેંકડો વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે તેમજ નશામુક્ત જીવનની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે. બ્રહ્માકુમારીઝના મીડિયા પ્રભાગના પ્રવક્તા ડૉ. નંદિની બહેને વધુ માહિતી આપતાં જણાવ્યું કે, નશામુક્તિ અભિયાન અંતર્ગત શાળાઓ, મહાવિદ્યાલયો, યુનિવર્સિટીઓ, સરકારી કચેરીઓ, આરોગ્ય સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો, ગ્રામ પંચાયતો તથા વિવિધ સામાજિક સંસ્થાઓમાં નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમો, રાજયોગ ધ્યાન સત્રો, પ્રેરણાદાયી વ્યાખ્યાનો, રેલીઓ તથા પ્રતિજ્ઞા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. નાગરિકો QR કોડ સ્કેન કરીને અથવા WhatsApp નંબર 9414154000 પર "PLEDGE" લખીને પણ નશામુક્તિ પ્રતિજ્ઞા અભિયાન સાથે જોડાઈ શકે છે. દેશના દરેક નાગરિકને આ ઐતિહાસિક અભિયાનમાં સહભાગી બની નશામુક્ત ભારતના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપવા હાર્દિક આહ્વાન કરવામાં આવે છે.