વંદે માતરમ્’ના 150 વર્ષ નિમિત્તે 300 ફૂટ તિરંગા સાથે શિક્ષકોનો દેશભક્તિનો ઉત્સાહ, AMC સ્કૂલ બોર્ડની ટીમે વધાર્યું તિરંગા યાત્રાનું ગૌરવ
·Wednesday, 12 August 2026 at 06:48 pm

‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર તથા દેશના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ શહેરમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડના શિક્ષકો મોટી સંખ્યામાં જોડાઈને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવી હતી.
તિરંગા યાત્રા દરમિયાન 300 ફૂટ લાંબો વિશાળ તિરંગો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. AMC સ્કૂલ બોર્ડના શિક્ષકોએ આ વિશાળ તિરંગા સાથે યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના નાદ સાથે શિક્ષકોએ સમગ્ર યાત્રામાર્ગને દેશભક્તિના રંગે રંગી દીધો હતો.
આ ભવ્ય તિરંગા યાત્રામાં તિવારી ભવનથી જોગણી માતા મંદિરના યૂ-ટર્ન સુધીના માર્ગ પર તેમજ SRK ટ્રાન્સપોર્ટથી ટોયલેટ બ્લોક પાસેના માર્ગ સુધી AMC સ્કૂલ બોર્ડના શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા. હાથમાં તિરંગો અને હૃદયમાં રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે શિક્ષકોનો ઉત્સાહ સમગ્ર યાત્રા દરમિયાન વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
AMC સ્કૂલ બોર્ડના શિક્ષકોની આ વિશાળ સહભાગિતાએ રાષ્ટ્રધ્વજ પ્રત્યેનું ગૌરવ વ્યક્ત કરવાની સાથે વિદ્યાર્થીઓમાં પણ દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદરની ભાવના કેળવવાનો સુંદર સંદેશ આપ્યો હતો. શિક્ષકોએ તિરંગા યાત્રા દ્વારા ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવનાને ઉજાગર કરી હતી.
વિશાળ તિરંગા સાથે AMC સ્કૂલ બોર્ડના શિક્ષકોની ઉત્સાહભેર સહભાગિતાએ સમગ્ર આયોજનને વધુ ભવ્ય અને યાદગાર બનાવ્યું હતું. આ યાત્રાએ અમદાવાદના નાગરિકોમાં રાષ્ટ્રભક્તિ, એકતા અને દેશપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી.
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
