પૂર્વ ઝોન ના 37 તળાવો વરસાદી પાણી થી ભરવા માં આવ્યા
પાણી ભરાવા ની સમસ્યા હલ કરવા એ એમ સી ની સકારાત્મક પહેલ
·Friday, 24 July 2026 at 08:50 am

અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીના વ્યવસ્થાપન અને સંગ્રહ માટે સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. AMCના પૂર્વ ઝોન વિસ્તારમાં આવેલા કુલ 37 તળાવોમાં વરસાદી પાણીને ડાયવર્ટ કરી તળાવોમાં સંગ્રહિત કરવામાં આવી રહ્યું છે.
AMC હેલ્થ કમિટી ચેરમેન શ્રી દીપક પંચાલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પૂર્વ ઝોન વિસ્તારમાં આવેલા તળાવોમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય અને આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે હેતુથી વરસાદી પાણીને તળાવો તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું છે.
ઉનાળાની ઋતુ દરમિયાન સૂકાઈ ગયેલા અનેક તળાવો હાલના ચોમાસામાં વરસાદી પાણીના સંગ્રહથી ફરી પાણીથી ભરાઈ ગયા છે. આ કામગીરીના પરિણામે એક તરફ વરસાદી પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે, તો બીજી તરફ આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિને નિયંત્રિત કરવામાં મદદ મળી રહી છે.
પૂર્વ ઝોનના નિકોલ ગામ તળાવ, વસ્ત્રાલ ગામ તળાવ, રામોલ વિસ્તારના ગફૂરવસ્તી તળાવ, ઢેકાટી તળાવ, તળાવડીના છાપરા તેમજ ઓઢવ ગામ તળાવ સહિતના વિવિધ તળાવોમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
શ્રી દીપક પંચાલે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા દરમિયાન માત્ર પાણીના નિકાલ પર જ નહીં, પરંતુ વરસાદી પાણીને સંસાધન તરીકે ઉપયોગી બનાવવાના અભિગમ સાથે કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદી પાણીનો તળાવોમાં સંગ્રહ થવાથી જળસંચયને પ્રોત્સાહન મળે છે અને શહેરના પર્યાવરણ તથા જળવ્યવસ્થાપન માટે આ એક સકારાત્મક અને મહત્વપૂર્ણ પગલું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીના યોગ્ય વ્યવસ્થાપન, જળસંચય અને શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઘટાડવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે.
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
