અમદાવાદમાં વરસાદી સ્થિતિ વચ્ચે AMCની ઝડપી કાર્યવાહીથી જનજીવન સામાન્ય; ઝાડ પડવાની 166 ઘટનાઓમાં માર્ગો તાત્કાલિક ખુલ્લા કરાયા અમદાવાદમાં તા. 23 અને 24 જુલાઈ, 2026 દરમિયાન પડેલા ભારે વરસાદ અને પવનના કારણે શહેરના વિવિધ ઝોનમાંથી ઝાડ અને ડાળીઓ પડવાની કુલ 166 ફરિયાદો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગને પ્રાપ્ત થઈ હતી. પ્રાપ્ત થયેલી ફરિયાદોમાં 129 ઝાડ પડવાની અને 52 ડાળીઓ પડવાની ઘટનાઓ નોંધાઈ હતી. ગાર્ડન વિભાગની ટીમોએ તમામ સ્થળોએ તાત્કાલિક પહોંચી કામગીરી હાથ ધરી હતી અને દરેક ફરિયાદનો સ્થળ પર જ સમયસર નિકાલ કર્યો હતો. પ્રાપ્ત અહેવાલ મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં ઝાડ પડવાની કેટલીક ઘટનાઓ માર્ગ પર બની હોવા છતાં, AMC દ્વારા તાત્કાલિક ઝાડ અને ડાળીઓ દૂર કરીને વાહનવ્યવહારને સામાન્ય બનાવવામાં આવ્યો હતો. અહેવાલ અનુસાર હાલમાં ઝાડ પડવાના કારણે શહેરમાં કોઈપણ રસ્તો બંધ નથી અને તમામ સ્થળોએ વાહનવ્યવહાર યથાવત ચાલુ છે. માત્ર એક સ્થળે (શાહીબાગ વિસ્તાર) કામગીરી ચાલુ હોવાનું નોંધાયું હતું, પરંતુ ત્યાં પણ માર્ગ બંધ હોવાનું દર્શાવવામાં આવ્યું નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ દ્વારા પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ-પશ્ચિમ, પૂર્વ, મધ્ય અને દક્ષિણ ઝોન સહિત શહેરના તમામ વિસ્તારોમાં સતત મોનિટરિંગ રાખી મેનપાવર અને મશીનરી સાથે ઝડપી પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. પરિણામે પડેલા ઝાડ અને ડાળીઓને ત્વરિત દૂર કરીને માર્ગો ખુલ્લા કરવામાં આવ્યા, ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં આવી અને નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે સતત કામગીરી કરવામાં આવી હતી.