અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા તેમજ જાહેર માર્ગો અને ફૂટપાથ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે શહેરવ્યાપી દબાણ હટાવવા મેગા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના તમામ સાત ઝોનમાં છેલ્લાં 15 દિવસ દરમિયાન હાથ ધરાયેલી આ સઘન કાર્યવાહીમાં જાહેર માર્ગો, હાઈવે અને વિવિધ વ્યસ્ત વિસ્તારોમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન નિયમોના ભંગ બદલ કુલ રૂ. 8,62,000નો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો હતો. એસ્ટેટ વિભાગ દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં કુલ 708 લારી-ગલ્લા દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 313 ગેરકાયદેસર શેડ, 1066 તાડપત્રી, જાહેર માર્ગો પર લગાડવામાં આવેલા 1987 જાહેરાત બોર્ડ તેમજ 5196 જેટલો અન્ય પરચૂરણ સામાન જપ્ત/દૂર કરવામાં આવ્યો હતો. જાહેર માર્ગો પર અવરોધરૂપ બનતા ગેરકાયદેસર દબાણોને દૂર કરીને ટ્રાફિકની સરળ અવરજવર સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દબાણો હટાવવાની કામગીરી સાથે જાહેર માર્ગો પર ગેરકાયદેસર રીતે પાર્ક કરાયેલા વાહનો સામે પણ કડક પગલાં લેવામાં આવ્યા હતા. આ અભિયાન દરમિયાન 1159 વાહનોને લોક કરવામાં આવ્યા હતા, તેમજ 35 જેટલા રસ્તા પરના દૂર કરેલ પાકા બાંધકામોની અને 10 વાહનોને ટોઇંગ કરીને સ્થળ પરથી દૂર કરવામાં આવ્યા હતા. આમ વાહનો સામે વિવિધ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી. પશ્ચિમ ઝોનમાં ગોલ્ડન ટ્રાયએન્ગલ, સ્ટેડિયમ ચાર રસ્તા, સ્વસ્તિક ચાર રસ્તા, પંચવટી પાંચ રસ્તા, પરિમલ ગાર્ડન અંડરપાસ, નારણપુરા ચાર રસ્તા, અંકુર ચાર રસ્તા અને શાસ્ત્રીનગર સહિતના વિસ્તારોમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ઉત્તર પશ્ચિમ ઝોનમાં ડમરૂ સર્કલ ઘાટલોડિયાથી ચાણક્યપુરી રોડ અને ગુજરાત હાઈકોર્ટ કોમ્પ્લેક્સ સુધીના માર્ગો, જજીસ બંગલો રોડ, પકવાન ચાર રસ્તા, માનસી સર્કલ, કેશવબાગ, ઈસ્કોન ચાર રસ્તા, થલતેજ અને વૈષ્ણોદેવી સર્કલ સુધીના વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કેન્યુગ ચાર રસ્તાથી શ્યામલ ચાર રસ્તા, પ્રહલાદનગર અને એસ.જી. હાઈવે વિસ્તાર તેમજ ઈસ્કોન સર્કલથી ઉજાલા સર્કલ સુધીના માર્ગો પર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પૂર્વ ઝોનમાં હસ્તિનાપુર, હાટકેશ્વર સર્કલ રોડ, રબારી કોલોની, નિકોલ, સોનીની ચાલી, સારંગપુર બ્રિજ અને ઠક્કરબાપાનગરથી જશોદાનગર સુધીના વિસ્તારોમાં સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. મધ્ય ઝોનમાં જમાલપુર ફૂલ બજાર, APMC માર્કેટ, ગીતા મંદિર, કાલુપુર રેલવે સ્ટેશન, પ્રેમ દરવાજા, દિલ્હી દરવાજા અને માણેકચોક વિસ્તાર સુધી દબાણ હટાવ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ઉત્તર ઝોનમાં મેમ્કોથી કુબેરનગર, હિરાવાડી BRTS, નરોડા ગામ અને નવા નરોડા સુધીના વિસ્તારો આવરી લેવામાં આવ્યા હતા. જ્યારે દક્ષિણ ઝોનમાં પીપળજ-પીરાણા રોડ, સેજપુર, પી.ડી. પંડ્યા કોલેજ રોડ, ગોવિંદવાડી, ઇસનપુર, ઘોડાસર કેનાલ રોડ, હાટકેશ્વર અને CTM ક્રોસ રોડ સુધીના વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી હતી. AMCના એસ્ટેટ વિભાગે શહેરના મિલકત માલિકો, વેપારીઓ, દુકાનદારો તેમજ વાહનચાલકોને જાહેર માર્ગો અને હાઈવે પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ ન કરવા અપીલ કરી છે. કોર્પોરેશને સ્પષ્ટ કર્યું છે કે જાહેર માર્ગો પર દબાણ કરનાર તત્વો સામે આગામી સમયમાં પણ આવી જ સઘન અને કડક કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.