AMCના પશ્ચિમ ઝોનના નવરંગપુરા વોર્ડમાં રૂ.45 લાખના ખર્ચે રીડેવલપ થયેલા ગાર્ડનનું લોકાર્પણ અને ‘શાંતિબાગ’ નામાભિધાન કરાયું
3,669 ચો.મી.માં વિકસાવાયેલા ‘શાંતિબાગ’માં બાળકો માટે બે અલગ રમતગમત ઝોન સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ
·Monday, 17 August 2026 at 09:22 am

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ ઝોનના નવરંગપુરા વોર્ડમાં TP-20 (ગુલબાઈ ટેકરા) વિસ્તારમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP)ના ધોરણે હેલવુડ દ્વારા રીડેવલપ કરવામાં આવેલા ગાર્ડનનું 17 ઓગસ્ટે 2026ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે ગાર્ડનનું ‘શાંતિબાગ’ નામાભિધાન પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ-નામાભિદાન શહેરના ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુબેન શાહના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિતિ સંસદસભ્યશ્રી દિનેશભાઈ મકવાણા અને સ્નેહમય ઉપસ્થિતિ ધારાસભ્ય શ્રી અમિતભાઇ શાહે આપી હતી.
આ ઉપરાંત કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કમલેશ પટેલ, મ્યુનિસિપલ શાસક પક્ષના નેતા શ્રી જશુભાઈ ઠાકોર, મ્યુનિસિપલ શાસક પક્ષના દંડકશ્રી અતુલ મિશ્રા, રિક્રિએશન, કલ્ચરલ એન્ડ હેરિટેજ કમિટીના ચેરમેન શ્રી જિતેન્દ્રભાઈ ખરચરિયા તથા ટાઉન પ્લાનિંગ, એસ્ટેટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન શ્રી ભાગ્યેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર - આઇ.એ.એસ. શ્રી અમૃતેશ ઔરંગાબાદકર તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નવરંગપુરા વિસ્તારમાં વિકસાવવામાં આવેલ આ ગાર્ડન આશરે 3,669 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલ છે, જેમાં આશરે 1,500 ચોરસ મીટરનો લોન વિસ્તાર છે. ગાર્ડનમાં બેઠક માટે ગેઝિબો, પ્રવેશદ્વાર પાસે આકર્ષક ફુવારો તેમજ બગીચાની અંદર પણ ફુવારાની સુવિધા ઉભી કરવામાં આવી છે. લોકો માટે આશરે 300 મીટરનો વોકિંગ ટ્રેક ઉપરાંત રમતગમત માટેનો વિસ્તાર પણ વિકસાવવામાં આવ્યો છે. ગાર્ડનમાં આકર્ષક ઓપન એમ્ફિથિયેટર, પુસ્તકાલય માટે ગેઝિબો તથા મુલાકાતીઓ માટે બેઠક વ્યવસ્થા માટે બેન્ચની સુવિધા પણ કરવામાં આવી છે.
AMC અને PPP પાર્ટનર હેલવુડ દ્વારા ગાર્ડનને આધુનિક તેમજ પર્યાવરણને અનુકૂળ શહેરી પાર્ક તરીકે વિકસાવવામાં આવ્યું છે. ગાર્ડનની આંતરસંયોજક અને ઉત્તેજક ડિઝાઇન નવરંગપુરા વિસ્તારના લોકોને એકસાથે જોડે તે રીતે તૈયાર કરવામાં આવી છે. પ્રોજેક્ટમાં ઉચ્ચ કક્ષાની સ્થાપત્ય તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, આ ઉપરાંત ફુવારા અને શિલ્પોનો સમાવેશ થાય છે.
ગાર્ડનની વિશેષતાઓમાં જોગિંગ ટ્રેક સાથે બાળકો માટેનું ‘ઇનોવેશન પાર્ક’ પણ સામેલ છે. બાળકો માટે બે અલગ-અલગ વયજૂથને ધ્યાનમાં રાખીને રમતના વિસ્તારો વિકસાવવામાં આવ્યા છે. એક વિસ્તાર 18 મહિનાથી 6 વર્ષની વયજૂથના બાળકો માટે અને બીજો વિસ્તાર 6થી 13 વર્ષની વયજૂથના બાળકો માટે બનાવવામાં આવ્યો છે. બંને વિસ્તારોમાં નવીન અને રમતીયાળ રમતોની સુવિધા કરવામાં આવી છે, જે બાળકોના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થશે.
‘શાંતિબાગ’ ગાર્ડનના વિવિધ હિસ્સાઓમાં અલગ-અલગ વયજૂથના લોકો માટે બેસવાની સુવિધા ધરાવતા મંડપ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ મંડપની ડિઝાઇન અને રચનામાં બાંધકામ ઉદ્યોગની અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સમગ્ર ગાર્ડનના રીડેવલપમેન્ટ માટેનો કુલ અંદાજિત ખર્ચ રૂ.45 લાખ છે અને કામ PPP ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.
આ રીતે નવરંગપુરામાં લાંબા સમયથી રહેલા ગાર્ડનને આધુનિક સુવિધાઓ સાથે નવા સ્વરૂપમાં વિકસાવી ‘શાંતિબાગ’ તરીકે નામાભિધાન કરવામાં આવતા સ્થાનિક નાગરિકો માટે હરિયાળી, મનોરંજન, કસરત, રમતગમત અને સામાજિક મેળાવડા માટે વધુ સુવિધાસભર જાહેર સ્થળ ઉપલબ્ધ બન્યું છે.
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
