GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, ગાંધીનગર ખાતે સુપરિન્ટેન્ડન્ટ ડૉ. મીરા પરીખના માર્ગદર્શનમાં દર્દીઓની સુવિધામાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો કરતા ‘હિમોફિલિયા ડે કેર સેન્ટર’ (ટ્રાન્ઝિટ વોર્ડ) નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે બાળરોગ વિભાગ અને મેડિસિન વિભાગ દ્વારા હિમોફિલિયાના દર્દીઓ માટે ઉપલબ્ધ નવીનતમ સારવાર પદ્ધતિઓ અને આધુનિક અભિગમ અંગે એક માહિતીસભર શૈક્ષણિક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેન્ટર શરૂ થવાથી હિમોફિલિયાના દર્દીઓને સમયસર સારવાર, નિયમિત અનુસરણે અને યોગ્ય વૈદકીય માર્ગદર્શન એક જ જગ્યાએથી મળી રહેશે.આ નવી સુવિધા દર્દીઓ અને તેમના પરિવારજનો માટે ખૂબ જ આશારૂપ અને રાહતરૂપ સાબિત થશે. આ પહેલથી હિમોફિલિયાના દર્દીઓ માટે વ્યાપક અને સંકલિત સારવારની સુવિધા તથા જરૂરિયાત મુજબ પ્રોફિલેક્સિસ સહિતની નિયમિત અને અત્યાધુનિક ફેક્ટર સારવાર થશે. આ સાથે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થયા વિના સરળતાથી 'ટ્રાન્ઝિટ વોર્ડ'માં ડે-કેર સારવાર ઉપલબ્ધ થશે. આ કેન્દ્ર ગાંધીનગર અને આસપાસના વિસ્તારના હિમોફિલિયા પીડિત દર્દીઓના જીવનધોરણને સુધારવા અને તેમને સમયસર યોગ્ય સારવાર પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે. કાર્યક્રમમાં હિમોફિલિયા સોસાયટીના પ્રમુખ શ્રી બ્રિજેશ મોદી તેમજ સોસાયટીના અન્ય હોદ્દેદારો અને સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.